પાટણના સરસ્વતી તાલુકામાં અદ્યતન સુવિધાસભર એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
૮૦થી વધુ ગામડાંના મુસાફરો અને હજારો વિદ્યાર્થીઓને મળશે લાભ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં અંદાજિત રૂ. ૩.૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓ યુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય સમારંભમાં કરવામાં આવ્યું. તેમણે રીબન કાપી, તકતી અનાવરણ કરીને ઉદ્ઘાટન કર્યું તેમજ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર યાત્રીઓને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. એસ.ટી. વિભાગે મુસાફરોને ભગવાન સમજી સેવા આપવી જોઈએ, એવું કહી તેમણે ઉમેર્યું કે મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો વિભાગને મોટો ફાયદો થશે. સાથે સાથે સ્વચ્છતા જાળવવા તથા હરિયાળું વાતાવરણ સર્જવા વૃક્ષારોપણની અપીલ પણ કરી.
લોકાર્પણ સમારંભમાં જિલ્લા પંચાયત પાટણની પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, વિભાગીય નિયામક એમ.ડી. શુક્લા, ડેપો મેનેજર તેમજ વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશન
નવું બસ સ્ટેશન પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા, વેઇટીંગ હોલ, ટી.સી.ઇન્ફોર્મેશન ઓફિસ, વોટર રૂમ, પાર્સલ રૂમ, રેસ્ટ રૂમ, બેબી ફીડિંગ રૂમ અને શૌચાલય જેવી સર્વસંપન્ન સુવિધાઓથી સજ્જ છે. વિકલાંગ વ્યકિતઓ માટે વિશિષ્ટ શૌચાલય, વ્હીલચેર, સ્લોપિંગ રેમ્પ, ટેક ટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ સાઈનેજ અને ગ્રેબબાર જેવી સગવડો ઉપલબ્ધ છે.
આ નવા બસ સ્ટેશનથી આસપાસના ૭૩ ગામોના હજારો મુસાફરો તથા ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સીધી સગવડ મળશે. મુસાફરોની સુવિધા માટે દૈનિક ૧૮૪ એસ.ટી. ટ્રીપ, જેમાં ૬૭ એક્સપ્રેસ અને ૧૧૭ લોકલ બસો શામેલ છે, ઉપલબ્ધ રહેશે.