સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૮૦ અંગદાન થકી ૫૬૯ જરુરિયાતમંદોને નવજીવન
પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો
હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર અંગોનું દાન મળ્યું
અંગદાનમાં મળેલ હ્રદયને ગ્રીન કોરીડોર દ્રારા અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમા ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવા આવ્યું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો.
પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પત્ની બબલીદેવીએ સંવેદનાપૂર્ણ પતિના તમામ અંગોનુ દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો.
સમગ્ર વિગતો એવી છે કે, ૫૧ વર્ષના મૂળ રાજસ્થાન ડુંગરપુરના વતની અને નિકોલ, અમદાવાદ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવને ફેક્ટરી માં કામ કરતા તા. ૨૬.૦૨.૨૫ ના રોજ માથાના ભાગે ઇજા થઇ હતી.
માથાની ગંભીર ઇજાના કારણે હેમરેજ થયું . જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ , ત્યારબાદ જીસીએસ હોસ્પિટલમાં સારવાર કરાવી. પરંતુ સ્થિતિ ગંભીર બનતાં તેઓને સઘન સારવાર અર્થે તા. ૪.૦૩.૨૦૨૫ ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં લાવવામા આવ્યા.
અહીં સારવાર દરમિયાન તા. ૦૭.૦૩.૨૦૨૫ ના રોજ તબીબોએ મોહનલાલને બ્રેઈનડેડ જાહેર કર્યા.
મોહનલાલના પત્ની બબલીદેવી તથા તેમના બે દીકરા નિલેશભાઇ અને જયેશભાઇ તેમજ દીકરી ભારતીબેનને તબીબોએ અંગદાન વિશે સમજાવતા પત્ની તેમજ ત્રણ બાળકોએ સાથે મળી મોહનલાલની આ પરીસ્થીતીમાં તેમના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે ,૧૮૦માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૮૭ અંગો નું દાન મળેલ છે. જેના થકી ૫૬૯ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
૧૮૦ માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ માં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.